[1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ
સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો,
એ ભૂલતા નહીં !
[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે,
પૂનમના નહીં.
આ વાત ભૂલતા નહીં
!
[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે,
એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે,
ટટ્ટાર જ
રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી
!
[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં
!
[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો,
બોલવું જ
પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો
!
[6] સવારે જ
ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે,
યાદ રાખો.
સતત ખીલેલું કશું જ
રહેતું નથી
!
[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ
પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે,
બાકી તો દિવસે દિવસે વેતરાતું જ
જવાય છે,
ચંદ્રને ઓળખો છો ને
?
[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો.
એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી
!
[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે.
જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !
[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ
અપમાન છે,
કારણ એ
એ જ
સૂરજ છે જેને સવારે તમે જ
પૂજ્યો હતો ને કાલે પાછો એ
ઊગવાનો જ
છે !
[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં.
હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે,
પ્રયાસ કરજો
!
[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી.
વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ
હોય છે.
એને સંભાળી લેવાની જરૂર છે !
[14] સત્યની સ્પર્ધા હોતી નથી,
સત્ય સ્પર્ધામાં હોતું નથી,
સત્ય સ્પર્ધક નથી, એ
નિતાંત છે,
નિશ્ચલ છે
!
[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં,
પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ
બને છે,
સુવર્ણરજની નહીં
!
[16] દરેક ઉભરો શમી જ
જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.
[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !
[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે,
ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ
વિદ્યા કામમાં આવતી નથી,
પૈસા પણ નહીં, મરવું જ પડે છે !
[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ
બન્ને અલગ અલગ છે,
વિચારજો !
[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે.
પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા.
દરેક ક્ષેત્રમાં આવું જ
હોય છે,
મરજીવા જ
પામી શકે છે, લગે રહો !
[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે,
મા તેનું નિવારણ !
[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી,
પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો
!
[23] તમે જેની પાછળ પડ્યા છો એ
આગળ જ
રહેવાનો છે,
એ ખ્યાલમાં રાખજો !
[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે
!
[25] લગ્ન ન
કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો,
સુખી થશો,
કરશો !
[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો
!
[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ
અટકી જવાનું નથી, એ
યાદ રાખીને જીવતાં શીખો,
તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી,
એ સમજો બને એટલા જલ્દીથી !
[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.
[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે,
એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !
[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી
!